રામાયણ સાર -3 ડોંગરેજી ની કથા પર આધારિત
દશરથ જી એ બાળ સ્વરૂપ જોયું,અને હૃદય ભરાણું છે, પરમ-આનંદ થયો છે.
રામ-દશરથ ની ચાર આંખ મળી, રામ લાલા એ ગાલ માં સ્મિત કર્યું છે, દશરથ રાજા જીભ પર મધ મૂકી
રામ ને મધ ચટાડવા લાગ્યા, રાજાએ વશિષ્ઠ ને વેદ મંત્રો બોલવાનું કહ્યું.
વશિષ્ઠ જી કહે છે-કે-રામ ના દર્શન કરી વેદો તો શું ?મારું નામ પણ ભૂલાઈ ગયું છે. હું શું મંત્ર બોલું ?
દર્શન માં નામ-રૂપ ભુલાય છે ત્યારે-દર્શન નો આનંદ આવે છે.
“તત્ર-વેદા-અવેદા-ભવન્તિ”......ઈશ્વર દર્શન (ઈશ્વર સાક્ષાત્કાર થાય) પછી વેદો ભુલાય છે.
પછી વેદો ની જરૂર પણ નથી.
લૌકિક નામ-રૂપ ની વિસ્મૃતિ થાય-(ભૂલાઈ જાય)-ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે.
વશિષ્ઠ જી એ બાળકો નું નામકરણ કર્યું છે.
આ કૌશલ્યા નો પુત્ર છે, તે સર્વ ને આનંદ આપનાર છે. “રમન્તે યોગિનઃ યસ્મિન ઇતિ રામ “
તે સર્વને રમાડે છે-તેથી તેનું નામ રામ રાખું છું.
સુમિત્રા નો પુત્ર સર્વ લક્ષણ સંપન્ન છે-તેથી તેનું નામ લક્ષ્મણ રાખું છું.
કૈકયી નો પુત્ર રામ-પ્રેમ થી જગતને ભરી દેશે-એટલે તેનું નામ ભરત રાખું છું,
ને ચોથો પુત્ર શત્રુ ઓનો વિનાશ કરશે એટલે તેનું નામ શત્રુઘ્ન રાખું છું.
રામ વગર આરામ મળતો નથી. જીવ માત્ર આરામ-શાંતિ ને શોધે છે.
જીવ માત્ર શાંતિ નો ઉપાસક છે.એવી શાંતિ ખોળે છે- કે જેનો ભંગ ન થાય-
રામજી ની મર્યાદા નું પાલન થાય તો જ આવે શાંતિ મળી શકે.
ધર્મ નું ફળ છે –શાંતિ-અને અધર્મ નું ફળ છે અશાંતિ.
ધર્મ ની મર્યાદા નું પાલન ન કરે તેને શાંતિ મળતી નથી. સ્ત્રી-સ્ત્રીની મર્યાદા માં રહે અને પુરુષ –પુરુષ ની મર્યાદા માં રહે. અને મર્યાદા જ્યાં સુધી ઓળંગે નહિ ત્યાં સુધી અશાંતિ આવતી નથી.
પહેલાં કરતાં અત્યારે મંદિરો માં ને કથાઓ માં ભીડ વધારે થાય છે, એમ લાગે કે લોકો માં જ્ઞાન-ભક્તિ વધ્યાં છે,
પણ મનુષ્યો ને શાંતિ નથી અને તેથી-તે-શાંતિ ને મદિરો માં ખોળવા જાય છે.
લોકો ધર્મ મર્યાદા પાળતા નથી અને ધર્મ (સ્વ-ધર્મ) ને ભૂલ્યા છે. ધર્મ વગર શાંતિ નથી.
ચંદ્ર,સૂર્ય સમુદ્ર –એ બધા પ્રભુ ની મર્યાદા પળે છે, સમુદ્ર પોતાની મર્યાદા છોડે તો પ્રલય થાય.
એક મનુષ્ય જ પોતાની મર્યાદા ભૂલે છે,લોકો ને થોડા પૈસા મળ્યા,અધિકાર મળ્યા,માન મળ્યું એટલે –તે
ધર્મ ની મર્યાદા છોડે છે....મને પૂછનાર કોણ ?.....
સનાતન ધર્મ કેવો છે-તે જાણવું હોય તો રામજી ના જીવન નો અભ્યાસ કરવો જોઈએ.
રામજી માને છે-હું ધર્મ-પરતંત્ર છું. રઘુનાથજી મર્યાદા પુરુષોત્તમ અને સર્વ સદગુણો ના ભંડાર છે.
રામ એ પરમાત્મા હોવાં છતાં ધર્મ નું,મર્યાદાઓ નું –ખુબ પાલન કરે છે.
અને કદી પણ મર્યાદા નો ભંગ કર્યો નથી.
શ્રી રામ-સેવાથી જીવન સફળ થાય છે.
ચંદન અને પુષ્પ થી રામજી ની સેવા કરીએ તેના કરતાં યે –
રામજી ની આજ્ઞા નું-મર્યાદાનું પાલન કરવું તે તેમની ઉત્તમ સેવા છે.
કોઈ પણ ધર્મ માં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાય માં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-પણ
રામજી ની ઉપર મુજબ ની ઉત્તમ સેવા (મર્યાદા-પાલન) તો કરવી જ પડશે.